શ્રી જનકભાઇ કહે છે તેમ તેમણે આ તમામ જીવનચરિત્રના અંશો તેમજ તસ્વીરો, સમાચાર પત્રો, સામાયિકો, ઇન્ટરનેટ તેમજ ગુગલના માધ્યમથી પ્રાપ્ત કરેલ છે. પરંતુ તેની પાછળનો જે હેતુ છે, પ્રેરક વિચાર છે તે બહુ મોટી વાત છે અને તેને માટે કરેલી પ્રેમપૂર્વકની મહેનત દાદ માંગી લે છે. તે માટેની સતત ચાલતી રહેતી મનોપ્રક્રિયાને, ઘટનાઓને અને પોતાના ઉપર થતી રહેતી અસરોને પણ સુંદર રીતે વ્યક્ત કરી છે. દરેકની વાતો, ઇન્ટરવ્યુ વગેરે વાંચતા સતત લાગ્યા કરે જ કે, “કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો પણ અડગ મનના મુસાફરોને હિમાલય નથી નડતો.”
જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે.
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
ના દોષ દો, ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.
કોઇપણ વિકલાંગ (માનસિક કે શારીરિક રીતે) વ્યક્તિના જીવનમાં, સ્વપ્નમાં અને નિર્ણયોમાં અજબની શક્તિનો સંચાર કરી શકે એવા આ પ્રેરણાદાયી પુસ્તકને માટે શ્રી જનકભાઇ અને ભારતીબહેનને અભિનંદન અને શુભેચ્છા. સાહિત્ય-જગત આવા પુસ્તકોને આવકારશે જ એ નિશ્ચિત છે.

